Wednesday, March 18, 2026

હે ઇશ્વર! આવનાર દર્દી

 (સત્ય ઘટના) લેખક.ડો.શરદ ઠાકર


હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સ ને દાખલ થતી જોઇ એ સાથે જ મારાથી પ્રાર્થના થઇ ગઇ...


‘હે ઇશ્વર! આવનાર દર્દી 

જનરલ સર્જરી નું ન હોય તો સારું!'


આવી અટપટી પ્રાર્થના પાછળ નું રહસ્ય સીધું-સાદું હતું.

હોસ્પિટલમાંથી જનરલ સર્જન રાજીનામું મૂકીને ચાલ્યા ગયા હતા અને હું ગાયનેકોલોજિસ્ટ હતો. હાથમાં ઓપરેશન માટેની ‘નાઇફ’ પકડી શકું એવો એક માત્ર ડોકટર હું જ હતો, બીજા ડોકટરો અલબત્ત, હતા પણ એ બધા મેડિકલ ઓફિસરો હતા. દર્દીઓને તપાસવાનું અને સારવાર આપવાનું કામ એ લોકો કરી શકે...પણ મોટી વાઢ-કાપ કરવાની...ન તો એમને છૂટ હતી.. ન કુશળતા...


ચીફ મેડિકલ ઓફિસર નો વહીવટી ચાર્જ પણ છેલ્લા એક મહિનાથી મારા હાથમાં હતો.


એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર ઉપર સૂતેલી એક સ્રીને બહાર કાઢવામાં આવી. એને જૉતાંવેંત હું રોગ ની ગંભીરતા સમજી ગયો. બપોર નો સમય હતો. આઉટડોર વિભાગ તો બે કલાક પહેલાં જ બંધ થઇ ગયો હતો. દર્દીનાં સગાં ઇમરજન્સી કેસપેપર કઢાવે એ પહેલાં જ હું પગથિયાં ઉતરીને દર્દીની પાસે પહોંચી ગયો.


‘શું છે? કયાંથી આવો છો? 

શું થયું છે બાઇને?’ 


મારી જીભ સવાલો પૂછતી હતી, 

આંગળીઓ એ સ્રીની ‘પલ્સ’ માપી રહી હતી અને આંખો એના ચહેરાનું અને પેટ નું નિરીક્ષણ કરી રહી હતી. ત્રણેય દિશામાંથી મળતા ‘સમાચાર’ માઠા હતા અને સૌથી માઠા સમાચાર એને લઇને આવેલા એના કુટુંબીજનોએ આપેલા જવાબમાં સમાયેલા હતા.


‘સાયેબ, મંગાજી ના મુવાડે થી આવ્યા છીએ. આ મારી બૈરી છે. કેસર એનું નામ. સાત દા’ડાથી એને પેટમાં દુખે છે. ઝાડો થતો નથી. એક કોળિયો અનાજ ખવાતું નથી. ખાવા જાય તો નેંકળી જાય છે.’


કેસર નો વર આદિવાસી હતો. 

એનાં વાકયો મેં થોડા-ઘણાં 

સુધારી ને લખ્યાં છે. એનું નામ મેં પૂછ્યું તો જવાબ મળ્યો...

‘રૂમાલિયો.’ 


મતલબ કે સ્રીનું પૂરું નામ: 

" કેસરબહેન રૂમાલસિંહ ઠાકોર.."


રૂમાલે આપેલી માહિતી જ ઘણું બધું કહી આપતી હતી. બાકીનું કામ મારા હાથની આંગળીઓએ પૂરું કરી આપ્યું. મારું નિદાન થતું હતું...


" ઇન્ટેસ્ટીનલ ઓબ્સ્ટ્રકશન "


એટલે કે..કેસર કુંવરી નાં પેટમાં નાનું આંતરડું કોઇક ચોક્કસ જગ્યાએ અવરુદ્ધ થઇ ચૂકયું હતું. એને કારણે ખાધેલો ખોરાક આગળ વધી શકતો ન હતો. ખોરાક આગળ ન વધે એટલે મળ બનવાનો તો પ્રશ્ન જ કયાં રહ્યો? અને આમ થયા પછી પણ ખાધે રાખવાથી દેખીતું છે કે પેટ ફૂલવા માંડે અને પછી તો એક તબક્કે એવી સ્થિતિ પેદા થઇ જાય કે..રોટલાનું એક 

બટકું ખાવા જાય તોયે નેંકળી જાય!


‘ભાઇ, તારી ઘરવાળીની હાલત ગંભીર છે. મોટા શહેરમાં, મોટી હોસ્પિટલમાં મોટા ડોકટર એનું ઓપરેશન કરે તો પણ એ ભાગ્યે જ બચે! આ નાનકડા ગામમાં તો આવું ‘મોટું’ ગણાય એવું કશું જ નથી. અરે, સમ ખાવા પૂરતા એક સર્જન પણ નથી! માટે મારી સલાહ માન અને તારી કેસર નો કેસપેપર કઢાવ્યા વગર જ

બારોબાર અમદાવાદ ભેગી કર એને!’


‘સાયેબ, 

અમારે ભીલ લોકોને તો 

આ જ અહમવાદ છે! આનાથી આગળ જવાના ન તો અમારી પાસે રૂપિયા છે, ન આવડત! તમારે  જે કરવું હોય ઇ કરો. જૉ તમે કેસ લેવાની ના પાડશો તો અમે તો એને અહીં જ મેલી ને જતાં રહીશું.’


હું સમજી ગયો કે....‘ધર્મસંકટ’ શબ્દની વહેવારુ વ્યાખ્યા કોને કહેવાય! મારી આંખો સામે અમદાવાદ ની વી.એસ. કે સિવિલ હોસ્પિટલનું વિશાળ, આધુનિક સગવડોથી સુસજજ ઓપરેશન થિયેટર, એના કુશળ, અનુભવી સર્જનનો, એમને ઓપરેશનમાં મદદ કરતી સહાયક તબીબો ની ટુકડી, 

ત્રણ થી ચાર એનેસ્થેટિસ્ટસ, જરૂર પડે તો અડધા કલાકમાં હાજર થઇ જતી પાંચ-પંદર બ્લડ બોટલ્સ, આ બધું રમી રહ્યું. અમારી હોસ્પિટલમાં એક નાનકડા ઓપરેશન થિયેટર સિવાય બીજું કશું જ નહોતું. મારે યુદ્ધ લડવાનું હતું અને મારા ભાથામાં એક પણ શસ્ર કે અસ્ર ન હતું. નવા સર્જન આવે એને હજુ બે-ત્રણ મહિના ની વાર હતી.


મને અચાનક... ડો.પટેલ યાદ આવ્યા. ડો.પટેલ જનરલ સર્જન હતા. વરિષ્ઠ હતા, હોંશિયાર હતા અને અનુભવી પણ. વરસો પહેલાં તેઓ આ જ હોસ્પિટલમાં સી.એમ.ઓ. તરીકે નોકરી કરી ચૂકયા હતા. સાચુકલા માણસ હતા. મારે એમની સાથે એવો કશો ઘરોબો ન હતો. આ ઘટના બની ત્યાં સુધીમાં ભાગ્યે જ કોઇ મીટિંગમાં એકાદ વાર અમે મળ્યા હોઇશું, તે પણ અલપ-ઝલપ. મેં એમને ફોન જૉડયો...


‘એક ગરીબ, આદિવાસી મહિલાની જિંદગી બચાવવાની છે. આવશો?’ 


‘ના.’ 


ડો. પટેલ મહેસાણા ના હતા. 

એમની જીભ ઉપર રુક્ષતા અને કટુતા હોવી તદ્દન કુદરતી બાબત ગણાય.


‘કેમ ના પાડો છો? માણસ થઇને માણસનો જીવ નહીં બચાવો?’


‘માણસ માં માત્ર કરુણા જ નથી હોતી, સ્વમાન જેવું પણ કશુંક હોય છે! એ હોસ્પિટલમાં મેં સાત-સાત વરસ સેવાઓ આપી છે. પછી લુરચા ને સ્વાર્થી ટ્રસ્ટીઓએ મને હડધૂત કરીને તગેડી મૂકયો છે. તમારા ટ્રસ્ટીઓને કહો કે મોંઢામાં તરણું મૂકીને મારી માફી માગે! બે હાથ જૉડીને મારા પગમાં પડે! એ પછી હું વિચારું કે મારે ત્યાં આવવું કે નહીં!’


‘ડો.પટેલ, તમે અશકય શરતો મૂકી રહ્યા છો. એક સામાન્ય આદિવાસી બાઇ માટે આ ધનવાન શેિઠયાઓ તમારા પગે પડે? નામુમકીન.


એવી ગરજ તો મને પણ ન હોઇ શકે. તમે પટેલ છો, તો હું બ્રાહ્મણ છું. ભગવાન કૌટિલ્ય અને પરશુરામના વંશજૉના શબ્દકોષમાં 

‘વિનંતી, આજીજી કે શરણાગતિ’ જેવા શબ્દો ગેરહાજર હોય છે. પણ એટલું યાદ રાખજૉ કે આપણે બંને ભલે ‘માણસ’ ન હોઇએ, પણ ડોકટરો તો જરૂર છીએ જ! હું ફોન મૂકું છું. તમારે આવવું હોય તો આવો! નહીંતર કેસર જઇ રહી છે. આવી નિષ્ઠુર દુનિયામાં રહીને એને કામ પણ શું છે?’ 


મેં રિસીવર જે રીતે મૂકયું...

એને મૂકયું ન કહેવાય...

પણ પછાડયું કહેવાય....


પાંચ જ મિનિટ પછી ડો.પટેલ હોસ્પિટલમાં હતા અને દસ મિનિટ પછી કેસર ઓપરેશન ટેબલ ઉપર સૂતી હતી. અમારો અંગૂઠા છાપ વોર્ડબોય એના મોં ઉપર ‘માસ્ક’ મૂકીને ઓપન ઇથર નું એનેસ્થેસિયા સૂંઘાડી રહ્યો હતો અને દસ મિનિટ પહેલાં એક બીજા ઝઘડી ચૂકેલા, ‘બે સ્વમાની ડોકટરો સંપીને એક મેજર ઓપરેશન શરૂ કરી રહ્યા હતા. શસ્રક્રિયા પૂરા ચાર કલાક સુધી ચાલી. લગભગ અડધા ફૂટ જેટલું નાનું આંતરડું કાપી નાખવું પડયું. પછી ‘એન્ડ-ટુ-એન્ડ એનેસ્ટોમોસીસ’ કરવું પડયું. આ એક અટપટી તબીબી પરિભાષા છે માત્ર ડોકટરો જ સમજી શકે તેવી. પણ ટૂંકમાં કહું તો મારી જિંદગીમાં મેં જૉયેલું આ એક સર્વશ્રેષ્ઠ ઓપરેશન હતું. એ પહેલાં અને પછી બીજી અનેક ‘મોટી’ શસ્રક્રિયાઓ મેં જૉયેલી છે, પણ આટલી ‘મહત્ત્વ’ની એમાંથી એક પણ ન હતી.


પાંચ કલાક ના કુલ પરિશ્રમ પછી હું અને ડો. પટેલ મારા કવાર્ટરમાં બેસીને ગરમાગરમ ચાનો કપ માણી રહ્યા હતા. મેં વાત-વાત માં પૂછી નાખ્યું...


‘ડો.પટેલ, ઓપરેશન તો આપણે કરી નાખ્યું, પણ એ સફળ તો જશે ને? 

કેસર જીવી તો જશે ને?’


‘જરૂર જીવી જશે, ડો.ઠાકર! 

એને ખબર છે કે આ જગત એટલું બધું નિષ્ઠુર નથી અને આ દેશના ડોકટરો એટલા બધા અભિમાની નથી કે એક ગરીબ આદિવાસી સ્રીએ અકાળે આ દુનિયા છોડીને ચાલ્યા જવું પડે.

No comments:

Post a Comment

આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું

  આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું? તમારો જવાબ હશે બ્રિટિશરો! ના, બ્રિટિશરો ફક્ત વિક્રેતા હતા. ભારતમાં રેલ્વે લાવવાનું સ્વપ્ન એક ભારત...